નવી દિલ્હીઃ અબુધાબીમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (ઓઆઈસી)ની બે દિવસીય બેઠકમાં કાશ્મીર પર પસાર કરાયેલા ઠરાવનો ઉગ્ર વિરોધ કરતાં ભારત સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને કાશ્મીરનો મુદ્દો ભારતની આંતરિક બાબત છે. ઓઆઇસીના ઠરાવનો જવાબ આપતાં કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, જમ્મ્-કાશ્મીરના પરના ઠરાવોના સંદર્ભમાં ભારતનું વલણ સતત અને જાણીતું રહ્યું છે. અમે ફરી એકવાર કહેવા માગીએ છીએ કે જમ્મ્-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેને લગતા મુદ્દાઓ ભારતની આંતરિક બાબત છે.
ઓઆઈસીની બેઠકમાં પાકિસ્તાનના ઉગ્ર વિરોધ છતાં ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ અપાયું હતું, પરંતુ ઓઆઈસી દ્વારા પસાર કરાયેલા ઠરાવોને જોતાં એમ લાગે છે કે, ભારત સરકારના મુસ્લિમ દેશોનું સમર્થન જીતવાના પ્રયાસોને ફટકો પડયો છે.