નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023ની સમયમર્યાદા પહેલાં પૂરું થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરનું નિર્માણ ત્રણ મહિના વહેલું એટલે કે સપ્ટેમ્બર સુધીમાં પૂરું થઈ જશે. રામ જન્મભૂમિ ખાતે ટ્રસ્ટની ઓફિસના ઇનચાર્જ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘અમને વિશ્વાસ છે કે મંદિર નિયત તારીખનાં ત્રણ મહિનાં પુરું થઈ જશે. અમે તારીખને ત્રણ મહિના પહેલાં આગળ કરી છે તેથી મંદિરને સપ્ટેમ્બરનાં અંતિમ આકાર આપી દેવામાં આવશે.’ ભગવાન રામનાં મંદિરનું પવિત્ર ગર્ભગૃહ અષ્ટકોણ હશે અને હાલમાં મંદિર આકાર લઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું 75 ટકા કામ પૂરું થઈ ગયું છે. હવે માત્ર 167 થાંભલા નાખવાનાં બાકી છે. મે-જૂન સુધીમાં છતનાં નિર્માણનું કામ ચાલુ થઈ જશે. ગર્ભગૃહ સુધી પહોંચવાનાં 32માંથી 24 પગથિયાંનું નિર્માણ થઈ ચૂક્યું છે. ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, મંદિરનું બાંધકામ નિયત સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે. હવે ગર્ભગૃહનાં બીમ બિછાવવાનું કામ શરૂ થશે.