ખોંસાઃ અરુણાચલ પ્રદેશના ખોંસા પશ્ચિમ વિધાનસભા સીટના નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય તિરોંગ અબોહ, તેમના પુત્ર અને પરિવારના સાત સભ્યો સહિત ૧૧ લોકોની ૨૧મીએ હત્યા કરાઈ હતી. નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઉગ્રવાદીઓ પર હુમલાનો આરોપ મુકાયો છે.
તિરપ જિલ્લાના ડેપ્યુટી કમિશનર પીએન થુંગોને કહ્યું કે, તિરોંગ પોતાના વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થતા હતા. ત્યારે બોગાપાની ગામ પાસે સવારે ૧૧.૩૦ વાગ્યે ફાયરિંગ કરાયું હતું. આ ઘટના વિશે મેઘાલયના મુખ્ય પ્રધાન કોનાર્ડ સંગમાએ ટ્વિટ કરીને દુખ જાહેર કરતાં કહ્યું કે, એનપીપી ઘટનાથી આઘાતમાં છે. તિરંગ અબો અબોહ સહિત પર કરાયેલા હુમલાની નિંદા કરુ છું. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજ્જૂએ પણ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરાશે.
વડા પ્રધાનને વિનંતી
મેઘાલયના મુખ્ય પ્રધાન અને એનપીપી અધ્યક્ષ કોનરાડ સંગમાએ આ ઘટનાની નિંદા કરતાં વડા પ્રધાન કાર્યાલય અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. સંગમાએ કહ્યું કે, અમે તિરોંગ અને તેમના પરિવારની હત્યાથી પરેશાન છીએ. મોદીજી અને રાજનાથજી આ મામલે કોઈ એકશન લે.