મુંબઈ: આસારામ બાપુ દ્વારા નિયંત્રિત ચેરિટેબલ ટ્રસ્ટને અપાયેલા ટેક્સ બ્રેકને રદ કરવા આવકવેરા ખાતાએ ભલામણ કરી છે. ૨૦૦૮-૦૯થી રૂ. ૨,૩૦૦ કરોડની બિનહિસાબી આવક થઈ હોવાનું તપાસમાં સંકેત મળતાં આ વિનંતી કરવામાં આવી હોવાનું સૂત્રોએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું.
એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ, શેર, કિસાન વિકાસ પત્ર અને ફિક્સ્ડ ડિપોઝિટમાં આસારામ અને તેના અનુયાયીઓને કથિત સાંકળતા 'બેનામી રોકાણો'ને ટેક્સ ડિપાર્ટમેન્ટે શોધી કાઢયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મોટાભાગના રોકાણ કથિત રીતે કોલકતા સ્થિત સાત ખાનગી કંપનીઓ મારફત કરવામાં આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ આસારામે હસ્તગત કરી હતી અને તેના અનુયાયી તે ચલાવતા હતા, એમ આવકવેરા ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.
ખાતાની તપાસ શાખાએ તૈયાર કરેલા અહેવાલમાં એવું પણ જણાયું છે કે અનુયાયીઓ મારફત લોનની યોજનાઓ પણ ચલાવાતી હતી જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ તથા પ્રમુખ બિલ્ડરોને ૧-૨ ટકાના વ્યાજ દરે રોકડ લોન અપાતી હતી.