નવી દિલ્હીઃ સરકારે હસ્તક ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાના ખાનગીકરણ માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે. સરકારની ગણતરી મુજબ આગામી એક વર્ષમાં આ કંપનીને વેચવાની કામગીરી પૂર્ણ કરાશે તેમ વિશ્વાસપાત્ર સૂત્રોએ ૧૬મીએ જણાવ્યું હતું. જોકે, આ સમગ્ર કામગીરી દરમિયાન એર ઇન્ડિયા બ્રાન્ડ ચાલુ રાખવામાં આવશે. ઉપલબ્ધ માહિતી મુજબ એર ઇન્ડિયાના વેચાણ માટે ચાર પ્રકારના વિકલ્પ વિચારણા હેઠળ છે. જેમાં ૧૦૦ ટકા હિસ્સાના વેચાણ માટે હરાજીનું આયોજન અને બિડીંગ. હરાજીમાં સેવાની ખરીદી માટે વિદેશી કંપનીઓને પણ બોલી લગાવવાની છૂટ પણ હોઈ શકે.
એક વિચારણા એવી પણ થઈ રહી છે કે એર ઇન્ડિયાની જમીની પ્રોપર્ટી કોઈ રિયલ એસ્ટેટ કંપનીને અલગથી વેચવામાં આવે અને અન્ય પ્રોપર્ટીને પણ અલગથી વેચવામાં આવે.