આઠ દસકામાં પહેલી વાર લાલ કિલ્લા પર ગૂંજશે વંદે માતરમ્

Friday 14th August 2026 13:07 EDT
 
 

નવી દિલ્હીઃ લાલ કિલ્લાના પ્રાચીર પરથી પહેલી વાર 15મી ઓગસ્ટે વંદે માતરમ્ વગાડવામાં આવશે, વાયુસેના પણ ખાસ તૈયારીઓ કરી રહી છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર એક મોટો ધ્વજ લઈને ઉડાન ભરશે. વધુમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન દેશના યુવાનોનું પણ સન્માન કરશે.

આ વર્ષે, 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની મુખ્ય થીમ ‘વંદે માતરમ્’ છે. લાલ કિલ્લાના પ્રાચીર પરથી વંદે માતરમની તમામ છ પંક્તિ ગુંજી ઉઠશે. સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર વંદે માતરમ વગાડવામાં આવશે. સ્વતંત્રતા દિવસના સત્તાવાર કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે તેવું આઝાદીના 80 વર્ષ બાદ આ પ્રથમ વખત હશે. વડા પ્રધાનના ભાષણના અંતે રાષ્ટ્રગીત પહેલાં તરત જ તે ગવાશે અથવા વગાડવામાં આવશે.

દેશ વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. તાજેતરમાં, સંસદના વર્તમાન સત્ર દરમિયાન, વંદે માતરમ પર ચર્ચા કરીને એક બિલ પસાર કરાયું હતું. રાષ્ટ્રગીત પહેલાં આ ગીત વગાડાશે. તે સમયે એ પણ સ્પષ્ટ કરાયું હતું કે સમારોહ દરમિયાન વંદે માતરમની છએ છ કડી સંભળાશે. હંમેશની જેમ, સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા નોંધપાત્ર રીતે મજબૂત બનાવવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 20 હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા છે. 1,000થી વધુ સીસીટીવી કેમેરા, ચહેરા ઓળખવાની સિસ્ટમ અને ડ્રોન શોધ સિસ્ટમ દ્વારા દેખરેખ રખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter