આત્મનિર્ભર ભારતથી દેશનું અર્થતંત્ર મજબૂત થયુંઃ રાષ્ટ્રપતિ

Thursday 20th August 2026 05:36 EDT
 
 

નવી દિલ્હી: ભારતમાં 80મા સ્વતંત્રતા દિવસની ઊજવણીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતથી દેશનું અર્થતંત્ર મજબૂત થયું છે. દેશને નક્સલવાદથી મુક્તિ અપાવવામાં કેન્દ્ર સરકારના પગલાંની પણ રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે, પરીક્ષાઓમાં સુધારા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે.
આઝાદીના 80મા પર્વની ઊજવણી પૂર્વે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનમાં દેશના વિકાસ અને ભવિષ્યની રૂપરેખા રજૂ કરાઈ હતી. તેમણે કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શી અને સારી બનાવી રહી છે. જાહેર પરીક્ષા વિદ્યાર્થીઓને આગળ વધવા અને તેમના સપનાં સાકાર કરવાની તક આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખતા સરકાર પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરી રહી છે.
તેમણે કહ્યું કે, આજનું ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં દરેક નાગરિકનું યોગદાન અત્યંત મહત્વનું છે. દેશના ગામડા સુધી દરેક પરિવારને સુખી અને સમૃદ્ધ બનાવવા એ જ સરકારનો આશય છે અને તે જ વિકસિત ભારતનો અસલી પાયો છે. આત્મનિર્ભર ભારતથી દેશનું અર્થતંત્ર મજબૂત થયું છે. હાઈવે, રેલવે, એરવે અને વોટરવેનું નેટવર્ક ઝડપથી મોટું અને આધુનિક થઈ રહ્યું છે. આજના ભારતમાં નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં પણ વિકાસ પહોંચ્યો છે.
જવાનો માટે 78 શૌર્ય પુરસ્કારો
રાષ્ટ્રપતિ મૂર્મુએ સશસ્ત્ર દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના જવાનો માટે 78 શૌર્ય પુરસ્કારો જાહેર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર ભારત ને અન્ય પડકારજનક વિસ્તારોમાં હાથ ધરાયેલા અભિયાનો દરમિયાન અસાધારણ સાહસ અને વીરતા દર્શાવનાર જવાનોનું આ પુરસ્કારથી બહુમાન કરાયું છે. પુરસ્કારોની યાદીમાં 9 કીર્તિ ચક્રનો સમાવેશ થાય છે, જેમાંથી 7 મરણોત્તર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter