નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક યોજીને ગલવાન વેલીમાં ભારત-ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ વિશે જાણકારી આપી હતી. બેઠકમાં ગલવાન વેલીમાં શહીદ થયેલા ૨૦ સૈનિકોની વિરતાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આપણા સૈનિકોએ શહીદ થતાં પહેલાં ભારત- માતા તરફ આંખ ઉઠાવનારાઓને બરાબરનો પાઠ ભણાવી દીધો હતો.
સર્વપક્ષીય બેઠકનો પ્રારંભ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપીને કરાઇ હતી. બેઠકમાં ૨૦ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. બેઠક બાદ બધા પક્ષોને સંબોધન કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ વિષય પર બધા વરિષ્ઠ મહાનુભાવોના વિચારો જાણ્યા છે. આપણે બધા દેશની સરહદોના રક્ષણમાં દિવસ-રાત કામ કરતાં આપણા વીર જવાનોની સાથે ઊભા છીએ. તેમની વીરતા, કૌશલ્ય, સૂઝ-બૂઝ પર દેશને અતૂટ વિશ્વાસ છે. આ સર્વપક્ષીય બેઠકના માધ્યમથી હું શહીદોના પરિવારોને પણ એ વિશ્વાસ અપાવું છું કે સમગ્ર દેશ તેમની સાથે છે.
સાથીઓ, પૂર્વીય લદ્દાખમાં જે થયું, તે અંગે તમે સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાનને સાંભળ્યા છે. લદ્દાખ સરહદે આપણી સરહદમાં કોઈ ઘૂસી આવ્યું નથી કે આપણી કોઈ પોસ્ટ કોઈના કબજામાં નથી. લદ્દાખમાં આપણા ૨૦ જવાનો શહીદ થઈ ગયા, પરંતુ જેમણે ભારત માતા તરફ આંખ ઉઠાવીને જોયું હતું, તેમને તેઓ બરાબર બોધપાઠ ભણાવી ગયા. તેમની આ વીરતા, બલિદાનને દરેક ભારતીય ક્યારેય ભૂલી નહીં શકે. ચીને એલએસી પર જે કંઈ કર્યું, તેનાથી આખા દેશમાં આક્રોશ ફેલાયેલો છે. આ ભાવના આપણી ચર્ચાના માધ્યમથી તમે પણ પ્રગટ કરી છે. હું તમને બધાને વિશ્વાસ અપાવું છું કે આપણું સૈન્ય દેશની સલામતી માટે કોઈ કસર નહીં છોડે. ડિપ્લોયમેન્ટ હોય, એક્શન હોય, કાઉન્ટર એક્શન હોય - જલ, થલ, આકાશમાં આપણું સૈન્ય દેશની સલામતી માટે જે કરવાનું છે તે કરી રહ્યું છે.
આજે આપણે એ ક્ષમતા ધરાવીએ છીએ કે કોઈપણ આપણી એક ઈંચ જમીન તરફ આંખ ઉઠાવીને પણ જોઈ શકે નહીં. આજે ભારતનું સૈન્ય દરેક સેક્ટરમાં એક સાથે મૂવ કરવા માટે સક્ષમ છે. આ સમયે એક તરફ આપણે સૈન્યને તેના સ્તરે યોગ્ય પગલાં લેવાની સંપૂર્ણ છૂટ આપી છે, બીજી બાજુ રાજદ્વારી માધ્યમોથી પણ ચીનને સ્પષ્ટ રીતે પોતાની વાત જણાવી દીધી છે. ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે, પરંતુ તે સંપ્રભૂતાની સલામતી માટે સર્વોપરી છે.
છેલ્લા પાંચ વર્ષમાં દેશે તેની સરહદોને સલામત કરવા માટે બોર્ડર એરિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રાથમિક્તા આપી છે. ફાઈટર પ્લેન્સ, આધુનિક હેલિકોપ્ટર, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ જેવી સૈન્યની અન્ય જરૂરિયાતો પર પણ અમે ખૂબ જ ભાર મૂક્યો છે. નવા બનેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ખાસ કરીને એલએસીમાં આપણી પેટ્રોલિંગ ક્ષમતા પણ વધી ગઈ છે. પેટ્રોલિંગ વધવાના કારણે સાવધાની વધી છે અને એલએસી પર થઈ રહેલી ગતિવિધિઓ અંગે સમયસર જાણ થઈ રહી છે. જે ક્ષેત્રો પર પહેલાં નજર નહોતી રહેતી, ત્યાં હવે આપણા જવાન સારી રીતે મોનિટરિંગ કરી શકે છે, રિસ્પોન્ડ પણ કરી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યું હોવાથી આપણા જવાન જે મુશ્કેલ પરિસ્થિતિમાં ત્યાં નિયુક્ત છે, તેમને સરળતાથી માલ-સામાન પહોંચાડી શકાય છે. રાષ્ટ્રહિત, દેશવાસીઓનું હિત હંમેશા આપણા બધાની સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. ટ્રેડ હોય, કનેક્ટિવિટી હોય, કાઉન્ટર ટેરરિઝમ હોય ભારતે ક્યારેય બહારનું કોઈ દબાણ સ્વીકાર્યું નથી.