નવી દિલ્હીઃ ૧૦ સરકારી બેન્કોના વિલયની જાહેરાત બાદ મોદી સરકારે આર્થિક સંકટમાં સપડાયેલી આઈડીબીઆઈ બેન્કને ઉગારવાનો નિર્ણય લીધો છે અને એમાં રૂ. ૯,૨૯૬ કરોડના બેલ-આઉટ પેકેજની જાહેરાત કરાઈ છે. આ રકમ કેન્દ્ર સરકાર અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) દ્વારા કાઢવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ બીજી સપ્ટેમ્બરે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ જાણકારી આપતાં કહ્યું હતં કે આઈડીબીઆઈ બેન્ક માટે કેન્દ્ર સરકાર રૂ. ૪,૫૫૩ કરોડ અને એલઆઈસી રૂ. ૪,૭૪૩ કરોડ આપશે. એવી આશા છે કે સરકારના આ પગલાથી આઈડીબીઆઈ બેન્કની આવકમાં પહેલા વર્ષે રૂ. ૫૦૦ કરોડનો વધારો થશે.