ગુવાહાટીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી સફાળા જાગેલા ભાજપે વધુ રાજકીય નુકસાન થતું અટકાવવા માટે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારોની જેમ ખેડૂતોના દેવાં માફ કરવાની શરૂઆત કરી દીધી છે. ૧૮ ડિસેમ્બરે આસામની ભાજપ સરકારે ખેડૂતોની રૂપિયા ૬૦૦ કરોડની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. સર્વાનંદ સોનોવાલ સરકારની આ જાહેરાતનો આસામના આઠ લાખ ખેડૂતોને લાભ થશે. મુખ્ય પ્રધાન સોનોવાલના નેતૃત્વમાં યોજાયેલી આસામ કેબિનેટની બેઠકમાં રાજ્યના ખેડૂતોની રૂપિયા ૬૦૦ કરોડની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.