ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્યો અને હિમાલય ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે આસામમાં ૧૬ જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયાના અહેવાલ છે. ૨૭મી જૂને બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓ અનેક સ્થળે જોખમના નિશાનથી ઉપર વહી રહી હતી. પૂરને કારણે આસામમાં આશરે ૨.૫૩ લાખ લોકોને અસર થઈ છે અને ૧૬ લોકોનાં મોત થયાં છે. તિનસુકિયા, મજૂલી, દિબ્રુગઢ જિલ્લામાં પરિસ્થિતિ વધુ ખરાબ ગણાવાઈ છે. માત્ર દિબ્રુગઢ જિલ્લામાં જ ૨૫ હજાર લોકો પૂરથી પ્રભાવિત છે. પોબીતોરા અભ્યારણમાં પૂરના પાણી ઘૂસી જતાં વન્યજીવો પર જોખમ વધી ગયું છે. આ અભ્યારણમાં ૧૦૦ ગેડા, ૧૫૦૦ જંગલી ભેંસ છે. તેમને ઊંચાઈવાળા સ્થળે મોકલી અપાયા છે. ૧૨ હજાર હેક્ટરમાંનો પાક ડૂબી ગયો છે. બીજીબાજુ હિમાચલ પ્રદેશમાં પણ નદીઓમાં પૂર આવ્યા છે. બરફ પીગળવાથી અને વરસાદને કારણે રાજ્યની અનેક નદીમાં પૂર છે.