ઇશરત જહાં લશ્કરે તોયબાની આતંકવાદી હતી તેવા નીતનવા ખુલાસા કોંગ્રેસની ઊંઘ ઉડાડી રહ્યા છે. આતંકવાદી ડેવિડ હેડલી, ગૃહમંત્રાલયના પૂર્વ ઉચ્ચ અધિકારીઓ જી. કે. પિલ્લાઈ, આર. કે. સિંહ અને આર. વી. એસ. મણિના ચોંકાવનારા ખુલાસા બાદ ૩જી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયના પૂર્વ સંયુક્ત સચિવ એ. કે. જૈને ધડાકો કર્યો હતો કે, ઇશરત જહાં મામલામાં પહેલા દિવસથી જ આતંકવાદી કનેક્શન હોવાની જાણકારી હતી.
તેમણે જણાવ્યું હતું કે, પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકી સંગઠનો સાથે સંકળાયેલાં હતાં. આ ઘટના બની ત્યારે ઘણા આરોપો મુકાયા હતા, તેથી અમારે રિપોર્ટ માગવો પડયો હતો. જૈને જણાવ્યું હતું કે, ઇશરત અને સાથીઓ વીઆઈપી લોકોની હત્યા માટે આવ્યા હતા. તે સમયે મને લાગતું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિશ્વાસનો અભાવ હતો. આઈબીએ ઘણાં સ્થળોએથી મળેલી માહિતીના આધારે તારણ કાઢી રિપોર્ટ ગૃહમંત્રાલયને સોંપ્યો હતો. તે સમયે આઈબીના રિપોર્ટ પર કોઈ સવાલ ઉઠાવાયો નહોતો. જૈને ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, ગોધરાકાંડ પછીનાં રમખાણો મામલે એક તપાસપંચ રચવાનું દબાણ હતું. નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ તરફથી એવા રેફરન્સ આવ્યા હતા કે હકીકતોને તોડીમરોડીને તપાસપંચ નીમવામાં આવે.
દરમિયાન રોહિત વેમુલા, જેએનયુ, નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો મામલે સંસદમાં વિપક્ષના હોબાળાનો સામનો કરી રહેલી સરકાર અને ભાજપે ઇશરત જહાં મામલે પૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને ઘેર્યા હતા. ભાજપે આરોપ મૂક્યો હતો કે, ઇશરત કેસમાં યુપીએ સરકારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ અને રાજકીય વિરોધીઓને પરેશાન કરવા સીબીઆઈનો દુરુપયોગ કર્યો હતો. એફિડેવિટ બદલવા માટેનો રાજકીય સ્તરે નિર્ણય લેવામાં ચિદમ્બરમ્, મનમોહન સિંહ અને સોનિયા ગાંધી સામેલ હતા. બીજી તરફ કોંગ્રેસઅધ્યક્ષા સોનિયા ગાંધીએ ચિદમ્બરમનો બચાવ કર્યો હતો. સોનિયા ગાંધીએ કોંગ્રેસના સાંસદોને જણાવ્યું હતું કે, ચિદમ્બરમે પહેલેથી સ્પષ્ટતા કરી દીધી છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારથી લક્ષ્યાંક બનાવી રહી છે. વળતો પ્રહાર કરતાં કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, શું જી. કે. પિલ્લાઇ અદાણી પોર્ટ અને સેઇઝના બોર્ડમાં સેવાઓ આપે છે?
ઇશરત આતંકી હતી કે નહીં તે અદાલતને નક્કી કરવા દો: શાહી ઇમામ બુખારી
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ બુખારીએ બિહારના કિશનગંજ ખાતે જણાવ્યું હતું કે, અદાલતને નક્કી કરવા દો કે ઇશરત આતંકવાદી હતી કે નહીં.
ચિદમ્બરમ્-મણિ સામે પરજ્યુરીનો કેસ દાખલ કરો
ગુજરાતના પૂર્વ ગુપ્તચરવડા આર. બી. શ્રીકુમારે ૩જી માર્ચે ઇશરત જહાં કેસમાં એફિડેવિટ કરવા માટે પોતાના પર દબાણ થયું હોવાના આરોપો મૂકનાર મણિની ટીકા કરતાં ચિદમ્બરમ્ અને મણિ વિરુદ્ધ પરજ્યુરીનો કેસ નોંધવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું કે, મણિને શરમ આવવી જોઇએ, તેમણે કાયદાનાં શાસનનાં હિતો વિરુદ્ધ સ્વાર્થ માટે કામ કર્યું હતું અને હવે તેનો ખુલાસો કરી રહ્યા છે. ચિદમ્બરમ્ અને મણિ સામે આઈપીસીની ધારા ૧૯૩ અંતર્ગત બંધારણનાં ઉલ્લંઘન માટેનો કેસ ચલાવવો જોઈએ.