નવી દિલ્હીઃ જેલમાં રહેલી મીડિયા માંધાતા ઇન્દ્રાણી મુખરજી આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં ૧૧મીએ તાજની સાક્ષી બની ગઈ છે. આ કેસમાં કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ આરોપીઓ છે. આ કેસમાંથી ચોથી જુલાઈએ મુક્તિ મેળવનાર મુખરજી ખાસ જજ અરુણ ભારદ્વાજ સમક્ષ હાજર થઈ હતી અને તેમની સામે રજૂ કરાયેલી શરતોને સ્વીકારી હતી. તેણે કોર્ટને કહ્યું હતું કે તે તમામ હકીકતો સાથે સચ્ચાઈપૂર્વક તેનું નિવેદન નોંધાવશે. ઈન્દ્રાણીએ ઉમેર્યું હતું કે હું જાણું છું કે કોર્ટે અરજીને મંજૂરી આપી છે અને મને મુક્તિ આપી છે. હું ઓર્ડરમાં ઉલ્લેખ કરાયેલી શરતોને આધીન વર્તીશ. કોર્ટે તેના મુક્તિના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે જો ઈન્દ્રાણી ખોટા પુરાવા આપશે અને શરતોનું પાલન નહીં કરે તો તેની સામે આ ગુના બદલ કેસ ચાલશે.