નવી દિલ્હીઃ ઈશરત જહાંના મામલે નરેન્દ્ર મોદીને તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની છબિ ખરડવા માટે ‘કાવતરા’માં સપડાવી દેવાનું અગાઉની યુપીએ સરકારે કાવતરું રચ્યું હતું તેવો આક્ષેપ કરતાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે અગાઉના વહીવટી તંત્રે આ મામલે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના જોડાણ મુદે બેવડું વલણ દાખવ્યું હતું.
રાજનાથે ઈશરત કેસની એક ફાઈલ પણ ગુમ થઈ હોવાનો દાવો લોકસભામાં કર્યો હતો. પી. ચિદમ્બરમનું નામ લીધા વગર તેમણે આક્ષેપ કર્યો હતો કે તે સમયના ગૃહ પ્રધાને ‘કેસરિયો આતંક’નું નામ આપીને ત્રાસવાદને પણ ‘રંગ’ આપ્યો હતો. લોકસભામાં ઇશરત જહાં કેસને લગતી એફિડેવિટની કથિત ભેળસેળ અંગે લોકસભામાં ધ્યાનાકર્ષક દરખાસ્ત લાવવાની હાકલ કરતાં રાજનાથે કહ્યું કે કમનસીબી એ છે કે મારે એ કહેવું પડે છે કે ઇશરત જહાં કેસમાં યુપીએ સરકારની નીતિ ઢીલી રહી હતી.