દેહરાદૂન/નૈનિતાલ: ચોમાસાનો પ્રારંભ થતાં જ દેવભૂમિ ઉત્તરાખંડમાં ૩૦મી જૂન અને પહેલી જુલાઈએ ઘણા વિસ્તારોમાં ૨૪ કલાકથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ચમોલી અને પિથોરાગઢમાં ઘણાં સ્થળોએ વાદળ ફાટયાં છે. જેને પગલે અલકનંદા, સરયુ અને મંદાકિની સહિતની ૧૦ નદીઓ ભયજનક રીતે વહી રહી છે. ચમોલી અને પિથોરાગઢ જિલ્લામાં વાદળ ફાટવાને કારણે ૩૮ લોકોનાં મૃત્યુ થયાં છે. નદીમાં આવેલાં ભારે પૂરને પગલે ઘણાં લોકો, મકાનો અને પ્રાણીઓ તણાઈ ગયાં છે. રૂદ્રપ્રયાગમાં અલકનંદા નદીનું જળસ્તર વધીને ૬૨૨.૩૫૦ મીટરે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, ચમોલી અને પિથોરાગઢના ૫૦ વર્ગ કિમી વિસ્તારમાં ૨ કલાકમાં ૧૦ સેમી વરસાદ ખાબક્યો હતો.