મુંબઈઃ બંગાળી સિનેમાની પનોતી બેઠી હોય તેમ વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતી બંગાળી અભિનેત્રી મંજૂષા નિયોગીએ આત્મહત્યા કરી લીધાના સમાચાર છે. પહેલાં પલ્લવી ડે, પછી બિદિશા ડે-મજૂમદાર અને હવે મંજૂષા નિયોગી એમ 15 જ દિવસમાં ત્રણ-ત્રણ અભિનેત્રીઓએ મોતને વ્હાલું કરી લેતાં બંગાળી સિનેમા જગતમાં હાહાકાર મચી ગયો છે.
મંજૂષાની માતાના અનુસાર, મંજૂષા પોતાની મિત્ર બિદિશાના મૃત્યુ પછી ડિપ્રેશનમાં સરી ગઈ હતી. તેના કારણે જ મંજૂષાએ આવું અંતિમ પગલું ભર્યાની આશંકા છે.
મંજૂષાનો દેહ પટોલી સ્થિત ફ્લેટમાં પંખા સાથે ફાંસો ખાઈને લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. કહેવાય છે કે મંજૂષાના પરિવારજનો તેને સતત ફોન કરતાં હતાં પરંતુ તેના તરફથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતાં તેઓ ચિંતિત થઈ ગયા હતા. આ પછી તપાસ કરતાં બેડરૂમમાં તેમણે મંજૂષાને પંખા સાથે ગળેફાંસો ખાધેલી મૃત અવસ્થામાં જોતાં તેમના હોશકોશ ઊડી ગયા હતા.
કહેવાય છે કે, મંજૂષાને બિદિશા સાથે લાગણીભર્યો નાતો હતો અને ખાસ મિત્રના નિધનથી તે બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. મંજૂષાએ ટીવીના થોડા શોમાં કામ કર્યું હતું. તે પોતાની કારકિર્દીને આગળ ધપાવવાના પ્રયાસ કરી રહી હતી. બિદિશાએ 26મેના રોજ આત્મહત્યા કરી હતી. હજી તો એની પોલીસ તપાસ ચાલુ છે ત્યાં મંજૂષાની આત્મહત્યાથી બિદિશા અને મંજૂષાના મૃત્યુ વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે, એમ તપાસનીશ અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું.