નવી દિલ્હી: સોમવારે સંસદનાં શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો. નરેન્દ્ર મોદીએ રાજ્યસભાનાં ઐતિહાસિક ૨૫૦મા સત્રને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યસભા સમવાય તંત્રનો આત્મા છે. તમામ સાંસદોએ તેની ગરિમા જાળવીને ગૃહનું સુચારુ સંચાલન કરવું જોઈએ. મહારાષ્ટ્રમાં સરકાર રચવા ભાજપ અને શિવસેના તેમજ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે હલચલ ચાલી રહી છે ત્યારે મોદીએ રાજ્યસભામાં એનસીપી અને બીજેડીનાં વખાણ કર્યા હતા અને તમામ પક્ષો તેમજ સાંસદોને આ બંને પક્ષ પાસેથી શિસ્ત અને સંયમમાં પાઠ શીખવાની સલાહ આપી હતી.
વિરોધ વ્યક્ત કરવા સંસદનાં વેલમાં નહીં ઉતરવાના એનસીપી અને બીજેડીના સંકલ્પ છતાં તેમનું સન્માન જળવાયું છે. ભાજપે પણ તેમની પાસેથી સંયમ અને શિસ્તનાં પાઠ શીખવા જોઈએ તેમ મોદીએ કહ્યું હતું. રાજ્યસભા એ સેકન્ડ હાઉસ છે તેને ક્યારેય સેકન્ડરી હાઉસ નહીં બનવા દઈએ. રાજ્યસભા એ ભૂતકાળમાં અનેક ઐતિહાસિક ક્ષણો જોઈ છે અને ઈતિહાસ પણ બનાવ્યો છે. જ્યારે જરૂર પડી ત્યારે ઇતિહાસ બદલ્યો પણ છે.