મુંબઇઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર વિસ્ફોટક સામગ્રી ભરેલી કાર મળી આવ્યા બાદ અહેવાલો વહેતા થયા હતા કે ત્રાસવાદી સંગઠન જૈશ-ઉલ-હિંદે આ કાર મૂકીને અંબાણી પરિવારને ધમકી આપી હતી. જોકે આ આતંકી સંગઠને સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરીને જણાવ્યું હતું કે તેણે અંબાણીને કદી કોઈ ધમકી નથી આપી. વાઇરલ થઈ રહેલો પત્ર નકલી છે. આતંકવાદી સંગઠને કહ્યું કે, તે ભાજપ સામે લડી રહ્યું છે, અંબાણી સામે તેમની કોઈ લડાઈ નથી.
૨૮ ફેબ્રુઆરીએ ટેલિગ્રામ એકાઉન્ટ થકી બહાર આવેલા પત્રે દાવો કર્યો હતો કે જૈશ-ઉલ-હિંદે મુકેશ અંબાણીને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે અંબાણીના નિવાસસ્થાન બહારથી મળી આવેલી બિનવારસી કારમાંથી ૨૦ જિલેટીન સ્ટીક મળી આવી હતી. તેમજ અંબાણી પરિવારને ધમકી આપતો પત્ર મળી આવ્યો હતો. પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી.