એર ઇન્ડિયા માટે આગેકૂચનો માર્ગ મુશ્કેલ

Saturday 21st June 2025 08:08 EDT
 

નવી દિલ્હી: દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત એરલાઈન્સમાં સ્થાન ધરાવતી એર ઈન્ડિયા દ્વારા સંચાલિત બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું. આ વિમાન અમદાવાદથી લંડન ગેટવિક જતું હતું, જે ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી પડયું હતું. તેમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. ખાનગીકરણ બાદ સુવિધાઓ મામલે પોતાની ખરાબ થતી છબિ વચ્ચે આ દુર્ઘટના એર ઇન્ડિયા માટે એક મોટો ફટકો છે. સરકારી ટેગ હટ્યા બાદથી અત્યાર સુધીમાં એર ઇન્ડિયાની શાખ જાળવવા ટાટા ગ્રુપ દ્વારા શું પગલાં લેવાયા છે તે જાણીએ.
એર ઈન્ડિયાની સ્થાપના 1932માં જેઆરડી ટાટાએ કરી હતી. 1953માં ભારત સરકારે એર ઇન્ડિયાને હસ્તગત કરી. ત્યાર બાદ વર્ષોના મિસમેનેજમેન્ટ અને વધતી હરીફાઈને કારણે એર ઈન્ડિયા પર દેવાંનો બોજ વધતો ગયો. 2022માં ટાટા ગ્રૂપે 2.20 બિલિયન ડોલરના સોદામાં એર ઇન્ડિયાનું સંચાલન સ્વહસ્તક લઇ લીધું અને ત્યારથી તે એર ઇન્ડિયાને ફરી ઊંચાઈ પર પહોંચાડવા પ્રયાસો કરી રહી છે પરંતુ સમયાંતરે એરલાઇનની છબિ ખરાબ થતી રહી છે. હાલ એર ઇન્ડિયા 43 ડોમેસ્ટિક અને 41 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ માટે ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. મે મહિના સુધીના આંકડા પ્રમાણે એર ઇન્ડિયા 191 વિમાનોનું સંચાલન કરે છે, જેમાં એરબસ અને બોઈંગ બંનેના નેરો અને વાઈડ બોડી મોડલ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter