મુંબઇઃ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને એર ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એરલાઇન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચંદ્રશેખરનની નિમણૂંકનો નિર્ણય લેવાયો હોવાનું એવિએશન ઇન્ડસ્ટ્રીઝના સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે નમકથી લઇને સોફ્ટવેર સુધીનો બિઝનેસ ધરાવતા ટાટા ગ્રૂપે ગયા વર્ષે આઠમી ઓક્ટોબરના રોજ 18,000 કરોડ રૂપિયામાં એર ઇન્ડિયાને ખરીદી લીધી હતી. જોકે ટાટા સન્સ દ્વારા હજુ સુધી એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઇઓ) અને મેનેજિંગ ડાયરેક્ટર (એમડી)ની નિમણૂક કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા સપ્તાહે એરલાઇન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં એન. ચંદ્રશેખરનને એર ઇન્ડિયાના ચેરમેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 14 ફેબ્રુઆરીએ ટાટા સન્સે એરલાઇન્સના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તુર્કી એરલાઇન્સના પૂર્વ પ્રમુખ ઇલ્ક આઇસીની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. જોકે આઇસીએ આ પદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.