નવી દિલ્હી: સીબીઆઈએ કેટલાક હાઈપ્રોફાઈલ કેસનો ઝડપી નિકાલ લાવવાના હેતુથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે, જે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ અને બિઝનેસમેન વિજય માલ્યાએ બેન્કો સાથે કરેલી છેતરપિંડીના કેસની તપાસ કરશે. આ એસઆઈટીનું સુકાન ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાના કરશે. અસ્થાના ૧૯૮૪ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ હતા.
અસ્થાના ગોધરામાં ફેબ્રુઆરી-૨૦૦૨માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડવાના કેસની તપાસ કરતી એસઆઈટીના પણ વડા હતા. ચારા કૌભાંડ કેસની તપાસમાં પણ તેઓ હતા. ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં ઈટાલીની કોર્ટે ફિનમેકેનિકાના ભૂતપૂર્વ વડાને દોષિત ઠરાવ્યા છે, જેને પગલે તપાસ મહત્ત્વની બની છે. આ કેસમાં કંપનીએ ૩૬૦૦ કરોડ રૂપિયાના આ ડીલમાં કેટલાક ભારતીયોને લાંચ આપી હોવાનો આરોપ છે. સૂત્રોએ કહ્યું હતું કે મિલાનની અપીલ કોર્ટના ચુકાદા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઈટાલીની ફિનમેકેનિકાની જ યુકે સ્થિત કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડે લાંચ આપી હતી. કોને લાંચ મળી છે તેની હવે એસઆઈટી તપાસ કરશે.