મુંબઇઃ સીબીઆઇએ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએલએફ) ગ્રૂપના ધીરજ અને કપિલ વાધવાનને સોમવારે સીબીઆઇ કોર્ટ સમક્ષ રજૂ કરતાં બંને ભાઇને કોર્ટે ૪ મે સુધી સીબીઆઇ કસ્ટડીમાં સોંપ્યા હતા. વાધવાન બંધુઓની યસ બેંક કૌભાંડ કેસમાં રવિવારે બપોરે સતારાના મહાબળેશ્વરના બંગલેથી ધરપકડ કરવામાં આવી હતી. CBI દ્વારા થયેલી FIRમાં જણાવ્યા મુજબ યસ બેંકે એપ્રિલથી જૂન-૧૮ દરમિયાન ડીએચએફએલના શોર્ટ ટર્મ ડિબેન્ચર્સમાં રૂપિયા ૩૭૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. તેના બદલામાં વાધવાન બંધુઓએ કપૂર પરિવારને લાંચના રૂપમાં ડુ ઇટ અર્બન વેન્ચર(ઇન્ડિયા)પ્રા. લિમિટેડને ૬૦૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. વાધવાન બંધુઓ અને પરિવારના ૨૩ સભ્યો ૨૩ એપ્રિલથી ક્વોરેન્ટાઇનમાં હતા. વાધવાન પરિવાર રજાઓ ગાળવા મહાબળેશ્વર પહોંચ્યો હોવાની જાણકારી મળતાં સીબીઆઇએ બંને બંધુઓની ધરપકડ માટે વોરન્ટ મેળવ્યું હતું.