નવી દિલ્હીઃ કરતારપુર સાહિબ કોરિડોર શરૂ કરવાની દિશામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમૃતસરના અટારીમાં સતત ત્રીજી બેઠકની ચોથીએ શરૂઆત થઈ. બન્ને પક્ષ એ વાતે સંમત છે કે, આ કોરિડોર આખું વર્ષ ખુલ્લી રહેશે અને તીર્થયાત્રીઓને એકલા કે સમૂહમાં યાત્રા કરવાનો વિકલ્પ પણ રહેશે. આ દરમિયાન કેટલાક મતભેદના કારણે કરારને અંતિમ રૂપ આપી ના શકાયું.
પાકિસ્તાન ગુરુદ્વારા યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ પાસેથી સેવા શુલ્ક વસૂલવા ઇચ્છે છે. આ ઉપરાંત પાકિસ્તાન ગુરુદ્વારામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને પણ મંજૂરી આપવા નથી ઇચ્છતું. ભારતે પાકિસ્તાનને આ મુદ્દે બીજી વાર વિચાર કરવાની અપીલ કરી છે. ભારતીય અધિકારીઓએ કહ્યું કે, બન્ને પક્ષ એ વાતે સહમત છે કે, શ્રદ્ધાળુઓને ગુરુદ્વારા દરબાર સાહિબ જવા વિઝાની જરૂર નથી, તેમાં વિદેશી નાગરિકત્વનું કાર્ડ રાખનારા ભારતીયો પણ જઈ શકશે અને કોઈ સાથે ધર્મના આધારે ભેદભાવ પણ નહીં થાય.