બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ૧૫ બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થયાં હતાં. જેમાં ૧૫માંથી ૧૨ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કોંગ્રેસને ફાળે ૨ અને અન્યને ફાળે ૧ સીટ ગઈ હતી. ૧૫માંથી ૧૨ સીટ પર ક્લિન સ્વિપને કારણે યેદિયુરપ્પા સરકારને ૨૨૪ સભ્યો ધરાવતા ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસના નેતા ડી કે શિવકુમારે પણ હાર સ્વીકારી હતી. બીજી તરફ કોંગ્રેસ વિધાયક દળના નેતા પદેથી સિદ્ધરામૈયાએ રાજીનામું આપ્યું હતું. દિનેશ ગુન્ડુરાવે પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, મતદારોએ કોંગ્રેસ અને જેડીએસને સજા કરી છે.
ભાજપની ઝળહળતી જીત પછી કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ રાજ્યમાં સરકારને સ્થિરતા આપવા માટે મતદારોનો આભાર માન્યો હતો. અમે હવે પ્રજાલક્ષી સરકારને વધુ સાડા ત્રણ વર્ષ ચલાવી શકીશું. તેમણે કહ્યું હતું કે ભાજપના જીતેલા ૧૨માંથી ૧૧ ધારાસભ્યોને કેબિનેટમાં લેવામાં આવશે અને પ્રધાન બનાવાશે.