કલમ 370ની નાબૂદીના સાત વર્ષ... જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસનો નવો યુગ

Wednesday 12th August 2026 13:27 EDT
 
 

નવી દિલ્હીઃ જમ્મુ–કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35(એ)ની નાબુદીને પાંચ ઓગસ્ટના રોજ સાત વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું કે આ પછી બંને પ્રદેશોના લોકોના જીવનમાં વ્યાપક ફેરફાર આવ્યા છે.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, ‘આજના દિવસે સાત વર્ષ પહેલાં અનુચ્છેદ 370 અને 35 (એ) ઈતિહાસ બની ગયા હતા. તેને પગલે જમ્મુ-કાશ્મીરની વિકાસયાત્રામાં નવા નિર્ણાયક અધ્યાયનો આરંભ થયો હતો. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે તથા દરેક નાગરિકને ‘મોટા સપના જોવાની, સિદ્ધિ હાંસલ કરવાની અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર થયો છે, જ્યારે શિક્ષણ, સ્વાસ્થ્ય સંભાળ, ઉદ્યોગસાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં તકો વધી છે.’
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘દાયકાઓથી જે મહિલાઓ, વંચિત સમુદાયોને બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા તે લોકો ભારતીય બંધારણ પુરી રીતે અમલી બનતાં સશક્ત થયા હતા. પાંચ ઓગસ્ટનું મહત્ત્વ એટલા માટે છે કે દેશ આજના દિવસે ડો. શ્યામા પ્રસાદ મુખરજીની 125મી જયંતિ મનાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડો. શ્યામા પ્રસાદ મુખરજી ભારતીય જનસંઘના સ્થાપક હતા અને તેમણે કલમ 370 નાબૂદ કરવા સંઘર્ષ કર્યો હતો. 1953માં શ્રીનગરમાં અટકાયત દરમિયાન મુખરજીનું અવસાન થયું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ એક્સ પર લખ્યું હતું કે, ‘મા ભારતીનું મસ્તક સદાયે ઉંચુ રહ્યું છે. પાંચ ઓગસ્ટ, 2019નો દિવસ ભારતની એકતા, અખંડિતતાના ઈતિહાસનો સ્વર્ણિમ દિવસ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter