નવી દિલ્હીઃ કેન્દ્રના ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને એક મહિનો પૂરો થઇ ગયો છે છતાં કોઇ જ નિરાકરણ નથી આવ્યું. ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે જો કાયદા પરત ન લેવાયા તો અમે પણ આંદોલન સ્થળ નહીં છોડીએ અને ઘરે પરત નહીં જઇએ, બીજી તરફ સરકારે આંદોલનકારી ૪૦ જેટલા ખેડૂત યુનિયનને પત્ર લખીને ૩૦મી ડિસેમ્બરે બેઠક યોજવા આમંત્રણ આપ્યું હતું જે ખેડૂતોએ સ્વીકાર્યું હતું. જોકે કેન્દ્રીય કૃષિ પ્રધાને કહ્યું કે, કૃષિ કાયદા ખેડૂત વિરોધી નથી. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે કાયદા પરત લેવાની ખેડૂતોની માગણી સ્વીકારવાનો સરકારનો કોઇ ખાસ ઇરાદો નથી. ભારતીય કિસાન યુનિયનના નેતા નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જો સરકાર કૃષિ કાયદા પરત નહીં લે તો ખેડૂતો ઘરે પરત નહીં જાય.
બેનીવાલની પાર્ટીએ છેડો ફાડયો
કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં શિરોમણિ અકાલી દળે છેડો ફાડયા બાદ હવે રાજસ્થાનમાં ભાજપના એકમાત્ર સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)એ એનડીએ સાથે છેડો ફાડી નાંખવાની જાહેરાત ૨૬મીએ કરી છે. નાગૌરના સાંસદ અને આરએલપીના અધ્યક્ષ બેનીવાલે અલવર જિલ્લાના શાહજહાંપુરમાં જણાવ્યું હતું કે, હું એનડીએ સાથે ફેવિકોલથી જોડાયેલો નથી. આજે હું મારી જાતને એનડીએથી અળગી કરું છું. આ કાયદાઓ ખેડૂત વિરોધી છે. અમે એનડીએ સાથે છેડો ફાડીએ છીએ, પરંતુ કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન કરવાના નથી. બેનીવાલે જયપુર નજીક હજારો ખેડૂતોની દિલ્હી કૂચનો પ્રારંભ કરાવ્યો હતો.
૯ કરોડ ખેડૂતોને કેન્દ્રની સખાવત
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ ૨૫મીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક બટન દબાવીને ૯ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતા રૂ. બે હજાર લેખે કુલ રૂ. ૧૮૦૦૦ કરોડથી વધુ ટ્રાન્સફર કર્યા હતા. મોદીએ અનેક રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા પણ કરી હતી. મોદીએ કૃષિ કાયદા માટે કહ્યું હતું કે, સરકારે ખેડૂતોના હિતો માટે મજબૂત કૃષિ કાયદા બનાવ્યા છે. પરંતુ કેટલાક રાજકીય પક્ષો જેમને દેશની જનતાએ લોકતાંત્રિક રીતે નકારી કાઢ્યા છે તેઓ આજે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.