નવી દિલ્હીઃ અમિત શાહની આગેવાની વાળા ગૃહમંત્રાલયે અલગાવવાદીઓના અસર ચહેરાને ખુલ્લો પાડવાની એક યોજના તૈયાર કરી છે. કાશ્મીર ખીણ વિસ્તારમાં શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવવા માટે પંકાયેલા અલગાવવાદીઓ તેમના બાળકોને વિદેશમાં ભણાવે છે. હુરિયત નેતાઓ સહિત કાશ્મીરના ૧૧૨ અલગાવવાદી નેતાઓ અને તેમની સાથે સહાનુભૂતિ રાખનાર ઓછામા ઓછા ૨૨૦ બાળકો વિદેશમાં ભણે અથવા રહે છે.
અલગાવવાદીઓની સામે પોલખોલ અભિયાન
ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં અલગાવવાદીઓની સામે પોલખોલ અભિયાનની રૂપરેખા તૈયાર કરી છે. તો જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લંબાવવાના મુદ્દે તેમણે સંસદમાં ૧૩૦ હુરિયત નેતાઓની વિગતો રજૂ કરી હતી. આ અલગાવવાદીઓએ તેમના બાળકોને વધારે અભ્યાસ અર્થે વિદેશમાં મોકલ્યા છે. અલગાવવાદીઓ શાળાના બાળકોને પથ્થરબાજી માટે ઉશ્કેરે છે અને સ્કૂલોને જબરજસ્તીથી બંધ કરાવે છે.
ગિલાણીના પુત્ર પાકિસ્તાનમાંથી એમબીબીએસ
ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે તહરીક એ હુરિયતના ચેરમેન અશરફ સેહરાઈના ૨ પુત્રો ખાલિદ અને આબિદ સાઉદી અરેબિયામાં કામ કરે છે. જમાત એ ઈસ્લામીના સદર ગુલામ મોહમ્મદનો છોકરો સાઉદી અરેબિયામાં ડોક્ટર છે. આસિયા અંદ્રાબીના ૨ છોકરા પણ વિદેશમાં ભણે છે. સૈયદ અલી શાહ ગિલાણીના પુત્ર નીલમ ગિલાણીએ હજુ હમણાં જ પાકિસ્તાનમાંથી એમબીબીએસ કોર્ષ પૂરો કર્યો છે. હુરિયત નેતા મીરવાઈઝ ઉમર ફારૂકની બહેન રાહિયા ફારકૃક એક ડોક્ટર છે અને અમેરિકામાં ઠરીઠામ થયેલી છે. બિલાલ લોનની પુત્રી અને જમાઈ લંડનમાં રહે છે, તેમની નાની દિકરી ઓસ્ટ્રેલિયામાં ભણી રહી છે.