કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બનાવવા સુપ્રીમનો કેન્દ્રને નિર્દેશ

Wednesday 18th September 2019 08:22 EDT
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો કે કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બનાવવા તમામ પગલાં લેવાય. રાષ્ટ્રહિતને ધ્યાનમાં લઈને પરિસ્થિતિ સામાન્ય બને. સ્કૂલ તથા હોસ્પિટલોને ફરીથી શરૂ કરી દેવામાં આવે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચને એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે લેવામાં આવી રહેલા પગલાંની જાણકારી આપી હતી. આ મુદ્દે કોર્ટે કેવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે એ વિશે બે અઠવાડિયામાં એક એફિડેવિટ કરવા ૧૬મીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. હવે આ મુદ્દે ૩૦ સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા, પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદને જમ્મુ અને કાશ્મીરના ૪ જિલ્લા જમ્મુ, શ્રીનગર, અનંતનાગ, બારામુલા જવાની પરવાનગી આપી છે જેથી તેઓ પોતાના વિસ્તારમાં જઈને લોકોના હાલચાલ જાણી શકે. જોકે આ મુલાકાતમાં ગુલામ નબી આઝાદ કોઈ રેલીને સંબોધિત નહીં કરી શકે.
ચીફ જસ્ટિસ કાશ્મીર જશે?
અરજકર્તાઓએ ફરિયાદ કરી હતી કે, હાઈ કોર્ટ આમ આદમીની પહોંચથી બહાર છે. રંજન ગોગોઈએ કહ્યું હતું કે જો લોકો હાઈ કોર્ટમાં અપીલ કરી શકતા ન હોય તો મામલો ગંભીર છે અને આ સંદર્ભમાં હું હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે વાત કરીશ અને જરૂર પડશે તો હું જાતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લઈશ. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા હંગામી ધોરણે જેલમાં કેદ કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter