જમ્મુઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર અનુચ્છેદ ૩૭૦ને મુદ્દે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધીને નવમીએ કહ્યું કે, ખીણ પ્રદેશમાં યુવાનો પાસે નોકરી નથી તેથી તેમની સમક્ષ હથિયારો ઉઠાવવા સિવાય કોઇ વિકલ્પ નથી. ત્રાસવાદી છાવણીઓમાં ભરતી વધી રહી છે. મહેબૂબા મુફતીના આ નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. પીડીપી નેતાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ જમ્મુ કાશ્મીરની જમીન વેચવા માગે છે. બહારથી આવીને લોકો અહીં નોકરી કરી રહ્યા છે, પરંતુ આપણા બાળકોને નોકરી નથી મળી રહી.
મહેબૂબા હાલમાં જમ્મુ મુલાકાતે છે. તેમણે જમ્મુમાં પક્ષના નેતાઓ ઉપરાંત સમાજના વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. તે પછી પત્રકાર પરિષદને સંબોધતાં પૂર્વ મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. અનુચ્છેદ ૩૭૦ મુદ્દો મુસ્લિમ કે હિંદુ સાથે સંકળાયેલો નથી. જમ્મુ કાશ્મીરના લોકોની ઓળખ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. લોકો પોતાના ભાવિ અંગે ચિંતિત છે.