અનુપમ ખેરના અભિનેત્રી પત્ની અને ભાજપ સાંસદ કિરણ ખેર હાલ બ્લડ કેન્સરથી પીડાઇ રહ્યા છે. ૨૭ મેના રોજ મુંબઇની કોકિલાબહેન હોસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઇ હતી, જે ત્રણેક કલાક ચાલી હતી. છેલ્લા પાંચ મહિનાથી કિરણ ખેર કોકિલાબેન હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. સર્જરી દરમિયાન તેમના પતિ અનુપમ ખેર પણ હોસ્પિટલમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેરે પુત્ર સિકંદર સાથે મળીને એક સ્ટેટમેન્ટ બહાર પાડયું હતું કે, કિરણ ખેરને એક પ્રકારનું બ્લડ કેન્સર છે અને તેમની સારવાર ચાલી રહી છે. ૬૮ વર્ષીય કિરણ ખેરને બ્લડ કેન્સરની જાણ ચંદીગઢમાં ડાબા હાથમાં ફ્રેકચર થવાથી થઇ હતી. તેમને ફ્રેકચર કઇ રીતે થયું તેની તબીબી તપાસ દરમિયાન તેમને મલ્ટીપલ માયલોમા થવાનું જાણવા મળ્યું હતું. પહેલાં ચંદીગઢની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે તેમને કોકિલાબહેન હોસ્પિટલમાં ખસેડાયા છે.