અલ્લાહાબાદઃ પ્રયાગરાજના કુંભ મેળામાં મૌની અમાવસ્યાના બીજા સ્નાનમાં ચોથીએ પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. આ સાથે કુલ ૧૨.૪૯ કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું.
કુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન મકર સંક્રાંતિમાં થયું હતું તેમાં ૧૫મી જાન્યુઆરીએ બે કરોડ, ૧૬મી જાન્યુઆરીએ ૨૫ લાખ ત્યારબાદ ચાર દિવસ સુધી રોજ પાંચ લાખ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી.
જાન્યુઆરી ૨૧થી ૩૦ દરમિયાન ગંગા, યમુના, સરસ્વતીના સંગમ સ્થાનમાં સરેરાશ રોજ પાંચથી સાત લાખ લોકો ડૂબકી લગાવી રહ્યા હતા. જાન્યુઆરી ૩૧ એકાદશી નિમિત્તે ૨૫ લાખ અને ચોથીએ મૌની અમાવસ્યા નિમિત્તે પહેલી તારીખે ૩૫ લાખ, બીજીએ એક કરોડ અને ત્રીજીએ ૧.૫૦ કરોડે સ્નાન કર્યું હતું. સોમવારે પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવતાં કુલ ૧૨.૪૯ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.