મુંબઈઃ બોલિવૂડ સિંગર કેકેનાં કોલકાતામાં એક કોન્સર્ટ બાદ હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સામાં પોસ્ટમોર્ટમ કરનારા તબીબે જણાવ્યું છે કે કેકેના હાર્ટમાં અનેક બ્લોકેજ હતાં. જોકે, કોન્સર્ટમાં તેને તત્કાળ સીપીઆર કરાવામાં આવ્યું હોય તો તેની જિંદગી બચી ગઈ હોત.
દરમિયાન કેકેના મુંબઈમાં 2 જૂને બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 53 વર્ષીય કેકેના ફેફસાં અને લિવરમાં અનેક ખરાબીઓ હોવાનું અગાઉના પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં બહાર આવ્યું હતું. હવે તેનું પોસ્ટમોર્ટમ કરનારા એક તબીબે જણાવ્યું હતું કે તેને ડાબી મેઈન આર્ટરીમાં બહુ મેજર બ્લોકેજ હતું. સાથે સાથે અન્ય આર્ટરીઝમાં પણ નાનાં-મોટાં બ્લોકેજ હતાં. કોન્સર્ટની ઉત્તેજના વખતે લોહીનો પ્રવાહ અટકી જવાથી હૃદય બંધ પડી ગયું હોય તેવું બની શકે છે.
અન્ય એક અભિપ્રાય અનુસાર જેમને લાંબા સમયથી હૃદયની તકલીફ હોય તેમને માયોકોર્ડિઅલ ઈન્ફાર્ક્શન થતું હોય છે. તેના કારણે બ્લડનું પંપીગ અટકી જાય છે. કેકેના પત્ની જ્યોતિએ પણ કહ્યું હતું કે કોલકાતા રવાના થતાં પહેલાં કેકેને ખભા ને હાથમાં દુઃખાવો થતો હોત. તેને ગેસનો પણ પ્રોબ્લેમ હતો. અને અવારનવાર એન્ટાસિડનું સેવન કરતો હતો.