નવી દિલ્હી: મે મહિનામાં મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂરાં થશે ત્યારે સરકારની અત્યાર સુધીની કામગીરી અને સિદ્ધિઓના પ્રચાર માટે મેગા અભિયાન શરૂ કરાશે. મોદી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે તે બાબતને કેન્દ્રસ્થાને રખાશે. બે વરિષ્ઠ પ્રધાનો વૈંકેયા નાયડુ અને પીયૂષ ગોયલને વર્ષગાંઠ નિમિત્તે ખાસ સંદેશ તૈયાર કરવાનું કામ સોંપાયું છે.
કોંગ્રેસના નેજા હેઠળ યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) સરકારની કામગીરી અને ભાજપના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના કાર્યોને સરખાવવા માટે દરેક મંત્રાલયની સરખામણી રજૂ કરાશે. તેમાં ભ્રષ્ટાચારરહિત વહીવટ પર સરકારે મૂકેલા ભારને ખાસ હાઇલાઇટ કરાશે. સરકારની યોજનાથી વાકેફ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી તેને નરેન્દ્ર મોદીનાં નોટબંધીનાં પગલાંને સમર્થન તરીકે જોવામાં આવે છે. તેનાથી સરકાર એવો પ્રચાર કરી શકશે કે નોટબંધી એ ભ્રષ્ટાચાર સામેનું પગલું હતું.


