નવી દિલ્હીઃ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું ૧૮મીએ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. સવારે તેમણે વ્યાકુળતા અનુભવાતા એઈમ્સ લઇ જવાયા હતા, પણ તેમને બચાવી શકાયા નહોતા. મોદીએ દવેના નિધનના સમાચારો ટિ્વટર પર લખતા કહ્યું હતું કે મારા મિત્ર અને સન્માનનીય સાથી પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેના નિધનથી ઊંડા આઘાતમાં છું. તેમની વિદાય અંગત નુકસાન છે. શ્રદ્ધાંજલિ.
અનિલ માધવ દવેએ લગભગ ૫ વર્ષ પહેલાં વસિયત તૈયાર કરાવ્યું હતું. ૨૩ જુલાઇ ૨૦૧૨ના રોજ તેમણે લખ્યું હતું કે, શક્ય હોય તો તેના અંતિમ સંસ્કાર બાંદ્રાભાનમાં નદી મહોત્સવવાળી જગ્યાએ કરાય. અંતિમ સંસ્કાર માત્ર વૈદિક વિધિથી કરાય. તેમણે લખ્યું હતું કે, મારી સ્મૃતિમાં કોઇ સ્મારક, સ્પર્ધા, પારિતોષિક, પ્રતિમા વગેરે ના હોય. કંઇ કરવું હોય તો વૃક્ષ વાવો અને તેમને સંરક્ષિત કરજો.