તિરૂવનંથપુરમઃ વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC ઇરિના સોમવારે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજામ ઇન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું છે. ભારતીય બંદર પર વિશ્વના સૌથી મોટા જહાજનું આગમન એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. અદાણી ગ્રૂપ દ્વારા વિકસિત આ વિઝિંજામ પોર્ટનું ગયા મહિને જ બીજી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્દઘાટન કર્યું છે. આ જહાજને TEU (20 ફૂટ સમકક્ષ એકમ) ક્ષમતાના આધારે વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ માનવામાં આવે છે. MSC ઈરિનાની ક્ષમતા 24,346 TEU છે, જે તેને વૈશ્વિક શિપિંગમાં મોટો ખેલાડી બનાવે છે. 399.9 મીટરની લંબાઈ અને 61.3 મીટરની પહોળાઈ ધરાવતું આ જહાજ FIFA ફૂટબોલ મેદાન કરતાં લગભગ ચાર ગણું લાંબુ છે. આ મહાકાય જહાજ 24,346 કન્ટેનર લઈ જઈ શકે છે. એશિયા અને યુરોપ વચ્ચે મોટી સંખ્યામાં કન્ટેનરના પરિવહન માટે તેનું નિર્માણ કરાયું છે. આ પહેલી વાર છે જ્યારે MSC IRINA એ દક્ષિણ એશિયામાં કોઈ પણ પોર્ટ પર લાંગર્યું હોય. આ દર્શાવે છે કે વિઝિંજામ પોર્ટ ખૂબ મોટા કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે તૈયાર છે.