તિરુવનંતપુરમ: કેરળમાં 1460 હેક્ટરમાં ફેલાયેલું મરયૂર ચંદન રિઝર્વ ફોરેસ્ટ જોખમમાં છે. આ દેશમાં સર્વોચ્ચ ગુણવત્તાના ચંદનનો એકમાત્ર સ્ત્રોત છે. અહીં 58 હજાર વૃક્ષ છે. તેની સરકારી કિંમત 3000 કરોડ રૂપિયાથી વધુ છે. અહીં તસ્કરી તો નથી થતી પણ સરકારી સંરક્ષણ હેઠળ થતા દબાણો અને એક અસાધ્ય સંક્રમણે જંગલને જોખમમાં મૂકી દીધું છે.
કેરળના રાજસ્વ વિભાગે રાજકીય દબાણમાં 119.787 હેક્ટરથી વધુ જંગલને ભેખડોવાળું જાહેર કરવાની તૈયારી કરી દીધું છે. ત્યાર બાદ તે ખાનગી પક્ષકારોને ધંધાકીય પ્રવૃત્તિઓ માટે અપાશે. આ જંગલમાં એક પરજીવીથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે, જેને સેન્ડલ સ્પાઇક કહે છે. 20મી સદીની શરૂઆતમાં આ સંક્રમણે મૈસૂર અને સત્યમંગલમના જંગલો તબાહ કરી દીધા હતા.
આ સંક્રમણથી વૃક્ષની ડાળીઓની લંબાઇ ઘટી જાય છે, અને ગુણવત્તા પણ બગડે છે. વન અધિકારી એન. વિનોદ કુમારે જણાવ્યું કે આ રોગથી સંક્રમિત 2 હજાર વૃક્ષો જલદી કપાશે.
મરયૂરનું ચંદન ખાસ છે કેમ કે...
મરયૂરના ચંદનનું લાકડું નક્કર હોવાથી વિશ્વભરમાં તેની માગ છે. આપોઆપ પડતા વૃક્ષોના વેચાણથી જ રાજ્યને દર વર્ષે 50 કરોડ રૂપિયાની આવક થાય છે. કોસ્મેટિક્સ અને પરફ્યૂમ ઇન્ડસ્ટ્રીમાં ચંદનની માગ છે.
વુડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટે મરયૂરના ચંદનને દેશમાં સૌથી સારી ગુણવત્તાના ચંદનનો દરજ્જો આપ્યો છે. મશહૂર બ્રાન્ડ ‘મૈસૂર સેન્ડલ સોપ’માં આ જ ચંદન વપરાય છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં હસ્તશિલ્પ ઉત્પાદકો, અગ્રણી આયુર્વેદ કંપનીઓ તથા વિવિધ મંદિર સમિતિઓ પણ તેના ગ્રાહક છે.
1892માં બ્રિટિશ-ભારતીય ટીએફ બોર્ડિલને આ જંગલ શોધ્યું હતું. બોર્ડિલન ત્રાવણકોર રાજ્યના વન સંરક્ષક હતા. તેમણે જોયું કે મરયૂરમાં વૃક્ષો કુદરતી રીતે જ વિકસે છે.