નવી દિલ્હીઃ લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી તેમનું રાજીનામું સ્વીકારાયું તો નથી, પરંતુ તેઓ રાજનામું આપવા અડગ હોવાનું જણાવાઈ રહ્યું છે. જો રાહુલ ગાંધી રાજીનામું આપવા પર અડગ રહ્યાં તો તેવી સ્થિતિમાં તેમને સ્થાને કોને બેસાડવા તે અંગે કોંગ્રેસ કાર્યકારણીની બેઠક યોજાઈ હતી. વરિષ્ઠ નેતા એકે એન્ટનીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સચિન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા, અશોક ગેહલોતના નામના ચર્ચા થઈ હતી. આમાંની કોઈને કાર્યકારી અધ્યક્ષ બનાવી શકાય છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું પરત ન લેવા પર મક્કમ રહે તો આવી સ્થિતિમાં પાર્ટીના બે અધ્યક્ષ બનાવવાની દિશામાં કોંગ્રેસ કામ કરી રહી છે. નવા ઉત્તરાધિકારી અંગે ઘણું બધું મંથન કર્યા બાદ પાર્ટીના નેતાઓ એ વાતે સંમત થયા છે કે કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાં જો એક દક્ષિણ ભારતમાંથી હોય તો વધારે સારું. એક પ્રસ્તાવ એવો પણ હતો કે કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિમાંથી હોવો જોઈએ.
રાહુલ જ અધ્યક્ષ છે અને રહેશેઃ સૂરજેવાલા
કોંગ્રેસ કાર્યકારણીની બેઠક બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી જ છે અને રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસ હાલના અધ્યક્ષ રાહુલ પર ભરોસો વ્યક્ત કર્યો છે.
શિંદે, ખડગેના નામની ચર્ચા
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કેટલાક નવા નામોનું સૂચન કરવામાં આવ્યું છે જેમાં એસસી સમુદાયના બે સુશીલ શિંદે અને ખડગે સામેલ છે.