નવી દિલ્હીઃ નેશનલ એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યૂનાઇઝેશન (AEFI) કમિટીના આંકડા અનુસાર ભારતમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયેલા કોરોના રસીકરણમાં ૨૯ માર્ચ સુધી કોરોના રસી લીધા બાદ ૧૮૦ લોકોનાં મોત થયાં છે. ૩૧ માર્ચના રોજ કમિટી સમક્ષ કરાયેલી રજૂઆત અનુસાર આમાંથી ૭૫ ટકા મોત રસી મુકાવ્યાના ફક્ત ૩ દિવસમાં થયાં હતાં. દેશમાં માર્ચ મહિના સુધીમાં કોરોના રસી મુકાવ્યા પછીની ગંભીર આડઅસરોના ૭૦૦ મામલા સામે આવ્યા છે. ગંભીર આડઅસરો પણ મહત્તમ લોકોમાં રસી મુકાવ્યાના ૩ દિવસમાં જ જોવા મળી હતી. ભારતમાં કોરોના રસી મુકાવ્યા પછી થયેલાં મોત અને ગંભીર આડઅસરો યુરોપ અને બ્રિટનના જેવી જ છે.