કોરોના વાઈરસ અંગે કેન્દ્રીય સમિતિનો મોટો દાવો

Tuesday 20th October 2020 16:56 EDT
 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના પિક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું હતું અને ફેબ્રુઆરી ૨૦૨૧માં કોરોના સમાપ્ત થઈ જશે. આ દાવો રવિવારે સરકાર દ્વારા રચાયેલી વિજ્ઞાનીઓની નેશનલ સુપર મોડલ સમિતિએ કર્યો હતો. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના નિષ્ણાત સામેલ છે. બીજી તરફ, મહામારીનો સામનો કરવા માટે રચાયેલી ટાસ્કફોર્સના વડા વી. કે. પોલે ચેતવણી આપી હતી કે શિયાળામાં કોરોનાની સેકન્ડ વેવ આવી શકે છે એટલા માટે હવે વધારે સાવચેત થઈ જવાની જરૂર છે.

ભારતમાં કોરોનાનું સંક્રમણ ટોચની સપાટીને પાર કરી ગયું: સરકાર

કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી વૈજ્ઞાનિકોની સમિતિએ રવિવારે દાવો કર્યો હતો કે, ભારતમાં કોરોનાનું સંક્રમણ ટોચની સપાટી વટાવી ગયું છે અને હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સંભાવના છે કે ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના મહામારીનો અંત આવી શકે છે. પ્રોફેસર એમ વિદ્યાસાગરના નેતૃત્વ હેઠળની સમિતિએ જણાવ્યું છે કે, ભારતમાં કોરોના સંક્રમણના કેસ ૧ કરોડ ૬ લાખથી વધે તેવી કોઇ સંભાવના દેખાતી નથી, પરંતુ જો તહેવારોની સિઝનમાં લાપરવાહી રાખવામાં આવશે તો કોરોના સંક્રમણ વકરી શકે છે અને મહિનાના ૨૬ લાખથી વધુ કેસ નોંધાઇ શકે છે.

દેશમાં લોકડાઉન લાગુ કરાયું ન હોત તો કોરોના મહામારીનો મૃતાંક ૨૫ લાખ સુધી પહોંચ્યો હોત. સમિતિએ એવો પણ દાવો કર્યો છે કે દેશની ૩૦ ટકા વસતીમાં કોરોનાના એન્ટીબોડી જોવા મળ્યાં છે જે દર્શાવે છે કે તેઓ કોરોનાના વાઇરસથી સંક્રમિત થઇ ચૂક્યાં છે.

કેટલાક જિલ્લામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનઃ હર્ષવર્ધન

દેશમાં કેરોના મહામારી શરૂ થયાના ૯ મહિના બાદ કેન્દ્ર સરકારે આખરે રવિવારે પહેલી વાર સ્વીકાર્યું કે, દેશના ઘણા વિસ્તારોમાં કોરોના વાઈરસનું કોમ્યુનિટી ટ્રાન્સમશન થઈ રહ્યું છે. સન્ડે સંવાદના છઠ્ઠા એપિસોડમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોના અલગ અલગ વિસ્તારો અને ખાસ કરીને ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ શકે છે. હાલ મર્યાદિત રાજ્યોના ચોક્કસ વિસ્તારોમાં કોરોના સંક્રમણનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે. બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના ૬૧૮૭૧ નવા કેસ નોંધાતં કુલ સંક્રમિતોની સંખ્યા ૭૪૯૪૫૫૧ ઉપર પહોંચી હતી દેશમાં ૨૪ કલાકમાં ૧૦૩૩ દર્દીએ જીવ ગુમાવતાં કોરોના મહામારીનો કુલ મૃતાંક ૧૧૪૦૩૧ થયો હતો. કોરોનાને માત આપનાર કુલ દર્દીની સંખ્યા ૬૫૯૭૨૦૯ ઉપર પહોંચી હતી. આ સાથે રિકવરી રેટ વધીને ૮૮.૦૩ ટકા થયો હતો.

સૌથી પહેલા ૩૦ કરોડ નાગિરકોને રસી

દેશમાં કોરોના વાઇરસ માટેની વિવિધ રસીની ક્લિનિકલ ટ્રાયલ છેલ્લા તબક્કામાં પહોંચી છે ત્યારે ૧૯મીએ સમાચાર હતા કે, કેન્દ્ર સરકારે હવે કોરોના રસીકરણના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાના રસીકરણમાં કોને પ્રાથમિકતા આપવી તે માટેની કેટેગરી પણ સરકાર દ્વારા નક્કી કરાઈ છે. સરકાર સૌથી પહેલા કોરોનાના ૬૦ કરોડ ડોઝ ખરીદવાની યોજના તૈયાર કરી રહી છે જેના પગલે સૌથી પહેલા દેશના ૩૦ કરોડ લોકોને કોરોનાની રસી આપી શકાશે. સરકારની પ્રાથમિકતામાં સામેલ ૩૦ કરોડ લોકોમાં આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મીઓ, વૃદ્ધ અને ગંભીર રોગોથી પીડાતા લોકોનો સમાવેશ કરાશે. એક વાર કોરોનાની રસી તૈયાર થાય ત્યાર બાદ પ્રારંભિક તબક્કામાં કોને રસી આપવી તે માટે સરકાર દ્વારા ૪ કેટેગરી નક્કી કરાઈ છે. કોરોનાની રસીના વિતરણ માટેની યોજના નિષ્ણાતોના ગ્રૂપ દ્વારા તૈયાર થઈ રહી છે જેના વડા નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલ અને આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter