નવી દિલ્હીઃ દેશમાં કોરના સંક્રણની સ્થિતિ ભયાવહ થઈ રહી છે. કોરોનાના દૈનિક કેસ મામલે બ્રાઝિલ અને અમેરિકાને પછાડી ભારત વિશ્વમાં પહેલા સ્થાને પહોંચી ગયું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રણમના નવા કેસની સંખ્યા ૧,૦૩, ૫૫૮ પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશમાં ૪૭૮ લોકોનાં મોત થયાં છે.
ગંભીર બાબત એ છે કે ગત વર્ષે દેશમાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વખત એક જ દિવસમાં સંક્રમિતોનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે.
સાડા છ મહિના પછી દેશમાં કોરોના સંક્રમણના કેસ એક લાખ સુધી પહોંચી ગયો છે. આ પહેલાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં દેશમાં ૯૭,૮૯૪ કેસ આવ્યા હતા. દેશમાં કોરોનાની સ્થિતિને જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઠમી એપ્રિલે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં દેશની સ્થિતિ અને લેવાયેલા પગલાં વિશે સમીક્ષા કરવામાં આવશે. તે ઉપરાંત મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન ૧૧ રાજ્યોના સ્વાસ્થ્યમંત્રી સાથે બેઠક કરવાના છે.
કુલ સંક્રમિતોનો આંકડો ૧.૨૫ કરોડને પાર
દેશમાં કુલ સંક્રમણનો આંકડો ૧,૨૫,૮૯,૦૬૭ પહોંચી ગયો છે. આ ઉપરાંત દેશમાં કોરોનાથી મૃત્યુ પામનરાા લોકોની કુલ સંખ્યા પણ વધીને ૧,૬૫,૧૦૧ થઈ ગઈ છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સાત લાખને વટાવી ગઈ છે. દેશમાં સોમવાર સુધીમાં ૭,૪૧, ૮૩૦ લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૮૨,૧૩૬ લોકો સાજા થયા છે દેશમાં કુલ ૨૪.૯૦ કરોડ લોકોના સેમ્પેલ ટેસ્ટિંગ અત્યાર સુધી કરવામાં આવ્યા છે.
દેશમાં એક મહિનામાં ૫.૫ લાખ એક્ટિવ કેસ વધ્યા જ્યારે ૭૭૫૩ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધીમાં ૭.૦૯ કરોડ લોકને રસી આપી દેવાઈ હોવાનું પણ સામે આવ્યું છે. દેશમાં હાલમાં જે નવા કેસઆવી રહ્યા છે તેમાંથી ૭૫.૮૮ ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી આવી રહ્યા છે. તેવી જ રીતે હાલમાં જે મોત થઈ રહ્યાં છે તેમાંથી ૮૪.૫૨ ટકા આઠ રાજ્યોમાં નોંધાયા છે.
દિલ્હીમાં ૨૪ કલાક વેક્સિનેશન
કોરોનાની વકરી રહેલી સ્થિતિનો જોતાં કેજરીવાલ સરકાર દ્વારા હવે દિલ્હીમાં મંગળવારથી ૨૪ કલાક રસી આપવાનું શરૂ થયું છે. આ મુદ્દે કેજરીવાલ વડા પ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે કેન્દ્ર દ્વારા રાજ્યને વધારાના રસીકરણ કેન્દ્રો ખોલવા તથા રસી લેનારા લોકોની ઉંમરમાં ફેરફાર કરવાના આદેશ આપવામાં આવે. રાજસ્થાન દ્વારા પણ રસીકરણ મુદ્દે વય મર્યાદા ઘટાડવાની માગણી કરવામાં આવી છે.