નવી દિલ્હીઃ કોરોના વાઈરસે ભારતમાં કાળો કહેર વર્તાવ્યો છે. ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ મંગળવારે જાહેર કર્યું હતું કે, ભારતમાં કોરોનાના ૪૯૨૦ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણ ફેલાવાની સ્થિતિ હાલમાં સ્ટેજ-૩ અને સ્ટેજ-૪ વચ્ચે છે. મંગળવારે દેશમાં કોરોનાના ૧૨૬ નવા કેસ સામે આવ્યા છે. જો કે છેલ્લા ૮ દિવસમાં છઠ્ઠીએ પહેલી વખત દેશમાં એવું થયું જ્યારે નવા કેસમાં ઘટાડો નોંધાયો હતો.
દિવસભરમાં ૪૮૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ૨૮મી માર્ચે સંક્રમિતોની સંખ્યામાં ૧૪૧નો વધારો થયો હતો. કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે કોરોનાની બીમારી ૨૭ રાજ્ય અને ૫ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાઈ ચૂકી છે અને કોરોનાના કારણે દેશમાં ૧૪૯નાં મોત થયાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ લથડી રહી છે અને મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૧૨૦ નવા કેસ સામે આવ્યાની સાથે જ કુલ કેસ ૮૬૮ સુધી પહોંચી ગયા છે. ૬૨૧ કેસ સાથે તમિલનાડુ બીજા નંબરે છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ૫૨૫ કેસ મળી ચૂક્યા છે.
કોરોનાનો ફેલાવો અટકે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ૨૨મી માર્ચે જનતા કર્ફ્યૂની અપીલ બાદ દેશમાં ૧૪મી એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત પણ કરી હતી.
દેશમાં કોરોનાના કેસિસ વધતાં લોકડાઉન લંબાવાની વાતોએ જોર પકડ્યું છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એ સ્પષ્ટતા પણ કરી હતી કે લોકડાઉનને વધારવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. તેથી આ અંગે કોઈ અટકળો જનતા દ્વારા લગાવવામાં ન આવે તે તેમના હિતમાં છે.
આ અગાઉ ન્યુઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અનેક રાજ્યો તથા નિષ્ણાતોની અપીલ બાદ આ અંગે વિચારણા કરે છે. તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે પણ લોકડાઉનને ૩જી જૂન સુધી વધારવાનું સૂચન આપ્યું હતું જ્યારે તે પોતે એક સપ્તાહ પહેલાં રાજ્યને કોરોના ફ્રી જાહેર કરવાની તૈયારી કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે પણ સંકેત આપ્યા હતા કે લોકડાઉન લંબાવાશે જોકે રાજ્યના મુખ્ય સચિવ ગૃહ
અવનિશ અવાસ્થીએ કહ્યું હતું કે, ૧૪ એપ્રિલે લોકડાઉન પૂરું કરાય એવું અશક્ય છે.
પ્રાથમિકતાઓનું લિસ્ટ બનાવ્યું
વડા પ્રધાન મોદીએ સોમવારે કેન્દ્રીય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને ચર્ચા કરી હતી. તેમણે પ્રધાનોને કહ્યું કે, લોકડાઉન બાદના આયોજનરૂપે ૧૦ નિર્ણય અને ૧૦ પ્રાથમિકતાઓની એક યાદી બનાવાઈ છે. મોદીએ કહ્યું કે, સરકાર પાકની લણવાની આ સિઝનમાં ખેડૂતોની દરેક શક્ય મદદ કરશે. તેમણે ખેડૂતોને મંડીઓ સાથે જોડવા માટે કેબ સર્વિસની જેમ એપ આધારે ટ્રક સેવા ઉપલબ્ધ કરાવવાનું સૂચન પણ આપ્યું છે.
સાંસદોના પગારમાં ૩૦ ટકા ઘટાડો
વડા પ્રધાનના વડપણ હેઠળ સોમવારે કેબિનેટની વીડિયો કોન્ફરન્સિંગમાં નિર્ણય લેવાયો હતો કે, વડા પ્રધાન તથા તમામ સાંસદોના પગારમાં આગામી એક વર્ષ સુધી ૩૦ ટકાનો ઘટાડો કરાશે. આ રકમ ભારત સરકારના ભંડોળમાં જશે અને કોરોના સામેના જંગમાં તેનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલો દ્વારા પણ સ્વેચ્છાએ પોતાના પગારમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો હતો.