નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના સંક્રમણના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. ૧૬મી જૂનના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૩૪૭૮૨૧ પહોંચી છે અને દેશમાં મૃત્યુ આંક ૧૦૦૧૫ થયો છે. સાજા થયેલા લોકોની સંખ્યા ૧૮૪૨૪૩ થઈ છે. દેશમાં સંક્રમણની ગતિ વધતાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે તેઓ ફરી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરશે.
ચેન્નઇ સંલગ્ન ૩ જિલ્લામાં લોકડાઉન
૧૫ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાન અને તેમની ટીમ ચર્ચા કરશે તેવા અહેવાલો વચ્ચે સંક્રમણ રોકવા દેશમાં ફરી એક વાર લોકડાઉનની ચર્ચાએ વેગ પકડ્યો છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન ઇ. પલાનિસામીએ ચેન્નઇ તથા તેની પડોશના ૩ જિલ્લામાં ૧૯થી ૩૦ જૂન સુધી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાનના બે રવિવારે તો સંપૂર્ણ શટડાઉન રહેશે. બીજી તરફ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અટકળો ફગાવતાં કહ્યું કે તેમના રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ કરવાની કોઇ વિચારણા નથી. બીજી તરફ મુંબઇમાં સોમવારથી લોકલ ટ્રેનો શરૂ કરાઇ હતી. જોકે, હાલ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ તેમાં મુસાફરીની મંજૂરી છે.