કોરોનાનું વધતું સંક્રમણ રોકવા ૩૧મી મે સુધી લંબાવાયું

Tuesday 19th May 2020 15:17 EDT
 
 

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસનો અંક ૧૯મી મેએ ૧૦૩૮૮૬ નોંધાયો છે. દેશમાં મૃત્યુઆંક ૩૨૧૨ અને સાજા થઈ ગયા હોય તેવા લોકોનો આંકડો ૪૦૮૫૬ કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયો છે. બીજી તરફ કોરોનાનો પ્રસાર અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ લોકડાઉનનો ત્રીજો તબક્કો રવિવારે પૂરો થવાની સાથે જ કેન્દ્ર સરકારે વધુ ૧૪ દિવસ માટે ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. જોકે, અપેક્ષા મુજબ કેન્દ્રે લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યોને વ્યાપક છૂટછાટો પણ અપાઈ છે. કેન્દ્રે શરતો સાથે રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર બસ સેવા અને મોલ સિવાય દરેક પ્રકારની દુકાનો શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. જોકે, ૩૧મી મે સુધી લંબાવાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારના કામકાજને મંજૂરી અપાઈ નથી. દેશને કન્ટેનમેન્ટ, બફર, રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ પાંચ ઝોનમાં વિભાજિત કરાશે તથા ઝોન નક્કી કરવાની જવાબદારી રાજ્યોને સોંપાઈ છે. આ સમયમાં મેટ્રો, સ્થાનિક ઉડ્ડયન અને દરેક પ્રકારના
જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત્ રખાયો છે.
લોકડાઉનની જાહેરાત પછી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ કોરોનાનો પ્રસાર અટકાવવા માટે પગલાં લેવા શરૂ કર્યાં હતાં. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપવા સાથેની નવી માર્ગદર્શિકા પણ જાહેર થઈ હતી. વડા પ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે લોકડાઉનના ત્રણ તબક્કાથી ચોથો તબક્કો એકદમ અલગ હશે તેવા સંકેત આપ્યા હતા.
નવી માર્ગદર્શિકા હેઠળ ઈ-કોમર્સ પ્લેટફોર્મને કન્ટેનમેનટ ઝોન સિવાય દરેક જગ્યાએ આવશ્યક ચીજો તેમજ બિન આવશ્યક ચીજોની ડિલિવરી કરવાની પણ મંજૂરી અપાઈ છે. આ સાથે દેશમાં ૨૪મી માર્ચથી લોકડાઉન લાગુ થયાના અંદાજે ૫૦થી વધુ દિવસ પછી કન્ટેનમેન્ટ ઝોન સિવાય બધા જ વિસ્તારોમાં દરેક પ્રકારની દુકાનો સોમવારથી ખોલી શકાશે. જોકે, દુકાનો સહિત દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, સેનિટાઈઝરની ઉપલબ્ધતા સહિતની બધી જ જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે. લોકડાઉનમાં બહાર નીકળતા બધા લોકો માટે આરોગ્ય સેતુ એપ મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરવાનું ફરજિયાત કરાયું છે.
ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ લોકડાઉન-૪માં વિસ્તારોને પાંચ ઝોનમાં વિભાજિત કરાશે. લોકડાઉનના અગાઉના ત્રણ તબક્કામાં દેશના વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરાયા હતા અને આ ઝોન કેન્દ્ર નક્કી કરતું હતું. આ વખતે કન્ટેનમેન્ટ અને બફર ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઝોન નક્કી કરવાની જવાબદારી જિલ્લા તંત્રને સોંપાઈ છે. એમ પણ કહેવાય છે કે મુખ્ય રૂપે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન જ રહેશે, પરંતુ કન્ટેનમેન્ટ અને બફર એમ બે ઝોન આ ત્રણની અંદર નક્કી કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter