તુલમુલા: જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ રવિવારે જણાવ્યું કે ખીણમાં કાશ્મીરી પંડિતોની સ્થાયી વાપસી માટે તેમનામાં વિશ્વાસ પેદા કરવાનું જરૂરી છે અને વર્તમાન પરિસ્થિતિ આવી નથી કે તેઓ પોતાના પૈતૃક સ્થળોએ રહી શકે. મહેબૂબાએ માતા ક્ષીરભવાની મંદિરમાં દર્શન કર્યા પછી જણાવ્યું કે, હું કાશ્મીરી પંડિતોને માત્ર અપીલ કરીશ કે તેઓએ અમારા પર ભરોસો કરવો જોઇએ અને દુઆ કરવી જોઇએ. અમે અહીં શાંતિ સ્થાપવાની કોશિશ કરી રહ્યા છીએ. કાશ્મીરી પંડિતો વગર કાશ્મીર અધૂરું છે. લોકો પોતાના પૈતૃક સ્થળોએ પાછા ફરે.
રવિવારે સેંકડો કાશ્મીરી પંડિતોએ તુલ્લામુલ્લા કે ક્ષીરભવાની મંદિરમાં હિન્દુ દેવી માતા રગનયાની પૂજા-અર્ચના કરી હતી. કાશ્મીરી પંડિતોએ ૧૧મીની સાંજથી વિભિન્ન વાહનો દ્વારા તુલ્લામુલ્લા નગર પહોંચવાનું શરૂ કર્યું હતું. તેમનામાંથી મોટા ભાગના કાશ્મીરી પંડિત પ્રવાસી હતા. સ્થાનિક લોકો રગનયા દેવીને માતા ક્ષીર ભવાની કહે છે. માતા ક્ષીર ભવાની પર્વ દર વર્ષે ઉજવાય છે.