નવી દિલ્હીઃ દિલ્હી - એનસીઆરમાં ૩ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરતા ખેડૂતોના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે સોમવારે યોજાયેલી આઠમી વખતની વાટાઘાટોમાં પણ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહીં. મોતને ભેટેલા ખેડૂતો માટે બે મિનિટના મૌન સાથે શરૂઆત થયેલી બેઠક બાદ કેન્દ્રીય કૃષિ પ્રધાને જણાવ્યું કે, આઠમીએ આગામી રાઉન્ડમાં અમે કદાચ નિષ્કર્ષ સુધી પહોંચીશું. ખેડૂતોની બે ચાવીરૂપ માગની સરકાર વિચારણા કરે તેવી શક્યતા છે.
અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર વિવાદાસ્પદ કાયદાને રદ નહીં કરવા મક્કમ છે અને આ બાબતે સમિતિની રચના કરવાની ભલામણ કરી હતી. જોકે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે કાયદાની વાપસી નહીં થાય ત્યાં સુધી ખેડૂતનો ઘર વાપસી પણ નહીં થાય. નારાજ ખેડૂતોએ નેતાઓ સાથે ભોજનની ના કહી અને લંગરમાંથી આવેલું ભોજન જ લીધું હતું.

