નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં કહ્યું હતું કે પ્રત્યેક ભારતીય તે ખેડૂતોને સલામ કરે છે કે જેમણે આપણા દેશને અનાજ અને ડેરી ઉત્પાદનો મુદ્દે આત્મનિર્ભર બનાવ્યો. કુદરતી આપત્તિઓ, કોરોના મહામારી સહિતના પડકારોનો હોવા છતાં આપણા ખેડૂતોએ ઉત્પાદન ચાલુ રાખ્યું.
તેમણે એમ પણ કહ્યું કે, દેશનું અર્થતંત્ર ઝડપભેર સુધારી રહ્યું છે. કોવિડ-૧૯ને કારણે લોકડાઉનને અમલી બનાવવાની ફરજ પડી હતી, પરંતુ અર્થતંત્રની ગાડી પાછી પાટા ઉપર ચઢી રહી છે.
રાષ્ટ્રપતિએ સંબોધનમાં જણાવ્યું હતું કે લદ્દાખમાં સિયાચીન અને ગલવાન ખીણમાં તાપમાન માઇનસ ૫૦થી ૬૦ ડિગ્રી રહે છે. બીજી તરફ જેસલમેરમાં ચામડી દઝાડી દેતી આકરી ગરમી પડે છે. ઉનાળામાં અહીં ૫૦ ડિગ્રી તાપમાન થઇ જાય છે. આ તમામ વિસ્તારોમાં ભારતીય જવાનો અડીખમ ઊભા રહીને ફરજ નિભાવી રહ્યા છે. જમીન, આકાશ અને સમુદ્રી વિસ્તારોમાં આપણા યોદ્ધા પૂરી રીતે સજ્જ અને સજાગ છે.
કોરોના સામેનો જંગ બધા લડયા
તેમણે કહ્યું કે આપણા વિજ્ઞાનીઓ, તબીબો, વહીવટકર્તાઓ અને દેશના પ્રજાજનો - સહુ કોઇએ કોરોના સામેની લડાઇમાં યોગદાન આપ્યું છે. તેને કારણે જ વિકસિત દેશોની તુલનામાં આપણા દેશમાં કોરોના થકી થતા મૃત્યુના દરને અંકુશમાં રાખી શકાયો છે.
તેમણે કહ્યું હતું કે વહીવટી અને આરોગ્ય તંત્ર રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતર્કતાથી કામ કરી રહ્યા છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ આ લાઇફલાઇનનો લાભ લઇને ગાઇડલાઇન મુજબ વેક્સિનનો ડોઝ અવશ્ય લે.


