ગંગામાં માનવતા વહી ગઇ... ૧૫૦ મૃતદેહો તણાઈ આવ્યા

Thursday 13th May 2021 05:02 EDT
 
 

પટણાઃ દેશમાં કોરોના મહામારીની ભીંસ વધતી જાય છે અને તેના પગલે લોકોના મોટી સંખ્યામાં મૃત્યું થઈ રહ્યા છે. હવે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. બિહારના બક્સર અને તેની આસપાસના પ્રાન્તમાં સોમવારે ૧૫૦થી વધારે મૃતદેહો ગંગા નદીમાં તણાઈને આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત મૃતદેહો છેલ્લાં કેટલાક સમયથી તેમના વિસ્તારોમાં સતત તણાઈને આવી રહ્યા છે અને તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
મળતી મહિતી પ્રમાણે બિહાર-ઉત્તરપ્રદેશ સરહદે આવેલા ચૌસા ગામે નદીકિનારે મહાદેવ ઘાટ ખાતે ૪૫ જેટલા ક્ષત-વિક્ષત થઇ ગયેલા મૃતદેહોને જોતાં સ્થાનિકોમાં જ ભય ફેલાઇ ગયો છે. બીજી તરફ બક્સર પાસેના એક ગામે ૫૦થી વધુ મૃતદેહ જોવા મળ્યા હતા. તે સિવાય નદીમાં છૂટા છવાયા મૃતદેહો પણ તણાઈને આવતા હતા.
સ્થાનિક વહીવટી તંત્રનું માનવું છે કે ઉત્તરપ્રદેશ તરફથી કોવિડ દર્દીઓના મૃતદેહ તરતા તરતા ચૌસા સુધી આવી પહોંચ્યા છે. મૃતકોના પરિવારોને અંત્યેષ્ટિ માટે સ્થાન કે લાકડાં ના મળતાં કદાચ તેમને ગંગામાં વહાવી દીધા હશે. આ મૃતદેહો ઉત્તરપ્રદેશના બહરાઇચ, વારાણસી કે અલ્હાબાદના છે કે કેમ તે અંગે તપાસ કરવાની જરૂર છે. ઉત્તરપ્રદેશમાં યમુના નદીમાં પણ ઢગલાબંધ લાશો છેલ્લા અઠવાડિયાથી જોવા મળી રહી છે. લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લાં એક અઠવાડિયાથી કોરોનાના કારણે અધધ મોત થયા છે. અહીંયા રાત-દિવસ સ્મશાનોમાં ચિતાઓ સળગતી રહે છે અને હવે સામગ્રી ઘટી રહી છે તેથી ગંગામાં મૃતદેહો પધરાવી રહ્યા છે. પાણીમાં પાંચથી સાત દિવસથી મૃતદેહો તરી રહ્યા હોવાથી કોહવાઇ ગયા છે. તંત્ર તે મૃતદેહોના નિકાલના કામમાં લાગ્યું છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે, સત્તાધારી પક્ષ દ્વારા અને યુપીની સરકાર દ્વારા કોરોનાના મૃતાંક ઓછા બતાવવા માટે નદીમાં મૃતદેહો વહાવી દેવામાં આવ્યા હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter