નવી દિલ્હી: કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા ગાંધી પરિવાર પર ત્રાટકીને તેના બે એનજીઓના ફોરેન ફંડિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. આમ ગાંધી પરિવાર ફરતે સકંજો કસવામાં આવ્યો છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF) તેમજ રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સામે પગલાં લેવામાં આવ્યા છે. ગાંધી પરિવારના ત્રીજા એક ટ્રસ્ટ ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની કામગીરી સામે પણ તપાસનો રેલો લંબાવવામાં આવે તેવા સંકેતો મળે છે.
આ ત્રણેય સંસ્થાઓને ચીન દ્વારા ફંડ મળતું હોવાના આરોપો લગાવાયા છે. મની લોન્ડરિંગ, આવકવેરાના નિયમોનો ભંગ તેમજ FCRA કાયદાના ઉલ્લંઘન માટે 2020માં નિમાયેલી આંતર મંત્રાલય તપાસ સમિતિની ભલામણને આધારે આ પગલાં લેવામાં આવ્યાં છે. એનજીઓ દ્વારા તપાસમાં નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું જણાયું હતું. રાહુલ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના 1991માં કરવામાં આવી હતી.
ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સુધી તપાસનો રેલો
કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા મની લોન્ડરિંગ, આવકવેરાના નિયમો તેમજ FCRAના કાયદાનો ભંગ કરવાના મામલે ઇડીના અધિકારીના વડપણ હેઠળ તપાસ સમિતિ રચાઈ હતી. ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સુધી તપાસનો રેલો લંબાઈ શકે છે.