ભોપાલઃ ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવ્યા પછી મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા અનિલ સૌમિત્રએ ફેસબુક પોસ્ટમાં ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહેતા હોબાળો થયો હતો. અનિલે લખ્યું હતું કે ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, પણ પાકિસ્તાનના. ભારતમાં તો તેમના જેવા અનેક સપૂતો થયાં છે. જોકે અનિલની ફેસબુક પર કેટલાયે ઝાટકણી કાઢી હતી અને ભાજપે સૌમિત્રને ૧૭મીએ પક્ષમાંથી સસ્પેન્ડ કરીને કહ્યું કે આ નિવેદન તેમની અંગત માન્યતા છે અને પક્ષ તેની સાથે સહમત નથી.
સાધ્વી પ્રજ્ઞાએ પણ ગોડસેને દેશભક્ત ગણાવતાં ભાજપે આ અંગત નિવેદન હોવાનું કહીને સાધ્વીને માફી માગવાનો આદેશ કર્યો પછી સાધ્વીએ ૨૧ પ્રહરનું મૌન રાખ્યું હતું અને કહ્યું હતું કે, મારા શબ્દોથી ઠેસ પહોંચી હોય તો મને ક્ષમા કરજો. નોંધનીય છે કે માલેગાંવ બોંબ વિસ્ફોટના મામલે ૨૧મીએ આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત અને સુધાકર ચતુર્વેદીને એનઆઈએની વિશેષ અદાલતમાં હાજરી આપવાને લઈને રાહત મળી હતી. અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને પણ ગોડસે મામલે કહ્યું કે તમામ ધર્મમાં આતંકવાદીઓ રહેલા છે. તેનાથી વિવાદ સર્જાયો હતો.