ગુરુદાસપુર: પંજાબના ગુરુદાસપુરના બટાલામાં ચોથીએ એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગ્યા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનામાં અત્યાર સુધીમાં ૨૩ લોકોનાં મૃત્યુ થયા છે તો ૩૦થી ૪૦ લોકોને ઇજા પહોંચી હતી. ૫૦થી વધુ મજૂરોને કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરી જમીનદોસ્ત થઇ ગઇ હતી. વિસ્ફોટનો અવાજ એક કિમીના અંતર સુધી સંભળાયો હતો અને ફેક્ટરી આસપાસની ત્રણ ચાર ઇમારતો પણ ધરાશયી થઇ ગઇ હતી. દૂર દૂરની ઇમારતોના કાચ પણ ધ્રુજારીને કારણે ફૂટી ગયા હતા.
વિસ્ફોટ થયો હોવાની જાણકારી મળતાં જ આસપાસના વિસ્તારોમાં ભાગદોડ મચી ગઇ હતી. ભટિંડાના એનડીઆરએફ મુખ્યાલય તરફથી મળેલી જાણકારી મુજબ બે ટીમ બચાવ કાર્યવાહી માટે પહોંચી ગઇ હતી.
વિસ્તારના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ચાર વાગ્યાના સુમારે નોંધાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. બચાવ ટુકડીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાના કામે લાગી ગઈ હતી. અગ્નિશમન દળ આગને અંકુશમાં લેવા પ્રયાસશીલ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા ઊઠયા હોવાથી બચાવ ટીમ પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ સપ્ટેમ્બરે એક લગ્ન કાર્યક્રમ માટે કારખાનામાં ફટાકડા તૈયાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ ગઈ. ભારે વિસ્ફોટ થતાં જિલ્લાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને નજર રાખી રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહે ઘટના પરત્વે શોકની લાગણી જાહેર કરી હતી. મૃતકોના પરિવારો પ્રતિ સંવેદના જાહેર કરતાં કેપ્ટને કહ્યું હતું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં બચાવ કામગીરી ચાલી રહી છે.